તળાજા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામા સુશાસન દિવસની ઉજવણી કરાઇ
ભાવનગર જિલ્લાના ૨,૨૪,૯૦૩ ખેડુતોને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવાયાં
જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર તા.૨૫ : ભાવનગર જિલ્લાના તમામ તાલુકા મથકોએ પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલબિહારી બાજપાઈજીના જન્મદિવસ નિમિતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમનું જિલ્લા કક્ષાનું આયોજન પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને તળાજા એ.પી.એમ.સી. ખાતે યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે અટલબિહારી બાજપાઈજીને શ્રધ્ધાંજલી અર્પણ કરતા મંત્રી કુંવરજીભાઈ એ જણાવ્યું હતું કે અટલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સુશાસનની સુવાસ ફેલાયેલી. આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ખેડૂતો સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. દેશમાં કૃષિની સાથે સાથે તેના સંલગ્ન ક્ષેત્રમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેમાં ગુજરાતે અન્ય રાજ્યોની સરખામણીએ આગવી ઓળખ મેળવી છે.
“સાત પગલા ખેડુત કલ્યાણના” અંતર્ગત ભાવનગર જિલ્લાના કુલ ૨,૬૦૩ લાભાર્થીઓના યોજનાકીય લાભો મંજુર કરાયા
સરકાર ખેડૂતોની પડખે છે અને સતત ખેડૂતોની ચિંતા કરી રહી છે તેમ જણાવી મંત્રીએ ઉમેર્યું હતું કે ભૂતકાળમાં કિસાનોને ૧૬ ટકા થી વધુ વ્યાજે જે ધિરાણ મળતું તે હવે ઝીરો ટકા વ્યાજે મળતું થયું છે. કૃષિ મહોત્સવ, પાકના પોષણક્ષમ ભાવો, સુધારેલી બાગાયત ખેતી, પાક વીમો તથા પાક ધીરાણના કારણે રાજ્યના કૃષિક્ષેત્રનો ખુબ વિકાસ થયો છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વખતે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની સહાય ખેડૂતોને ચુકવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ૩,૭૦૦ કરોડનું ખાસ કૃષિ સહાય પેકેજ જાહેર કરી સરકાર ખેડૂતોની પડખે ઉભી રહી છે.
કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રતીકરૂપે લાભાર્થીઓને વિવિધ કીટ-ચેકનું વિતરણ કરાયું
આ પ્રસંગે મંત્રીએ ઉપસ્થિત સૌ કોઈને કૃષિ તેમજ પશુપાલનને લગતી વિવિધ યોજનાઓ જેવી કે સાત પગલાં ખેડૂત કલ્યાણના, મોબાઈલ પશુ દવાખાના, કૃત્રિમ બીજદાન તેમજ ઇ-સેવાસેતુ વગેરે યોજનાઓ વિશે માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા નવી દિલ્હીથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારતભરના કુલ ૯ કરોડ ખેડૂત ખાતેદારોના ખાતામાં DBTના માધ્યમથી અંદાજે કુલ રૂ.૧૮ હજાર કરોડ જમા કરાવ્યા હતાં. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીથી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરના કિસાનો સાથે સંવાદ કરીને પ્રેરક સંબોધન કર્યું હતું.
વડાપ્રધાનએ દેશના ૯ કરોડ ખેડૂતોના ખાતામાં ડિજીટલ બટન દબાવીને ‘કિસાન સન્માન નિધિ યોજના’ હેઠળ રૂ.૧૮ હજાર કરોડની રકમ જમા કરી હતી, જેમાં ‘સાત પગલા ખેડૂત કલ્યાણના’ હેઠળ ભાવનગર જિલ્લાના ૨૬૦૩ લાભાર્થીઓને લાભાન્વીત કરાયા હતા. જ્યારે કિસાન સન્માનનિધિ હેઠળ ૨,૨૪,૯૦૩ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા. સાથોસાથ ખેડૂતોને ‘સાત પગલા ખેડૂત કલ્યાણના’ યોજનામાં પાક સંગ્રહ સ્ટ્રકચર, કિસાન પરિવહન, છત્રીઓ, જીવામૃત, CABP (GAIC)ના લાભાર્થી, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, શ્રેષ્ઠ પશુપાલન ઘટકમાં કૃષિ સાધન-સામગ્રી અને સહાય તેમજ સમાજકલ્યાણ વિભાગની યોજનાઓ હેઠળ સાધનસહાય સ્થળ પર જ મંત્રી અને મહાનુભાવોના હસ્તે અર્પણ કરીને લાભાન્વિત કરાયા હતા તેમજ મોબાઇલ પશુ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતુ.
આ પ્રસંગે એ.પી.એમ.સી.ચેરમેન ભીમજી પંડ્યા, શ્રી મુકેશ લંગાળીયા, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, સંયુક્ત ખેતી નિયામક પટેલ, માજી તાલુકા પ્રમુખ શ્રીમતી આશાબેન મકવાણા, મારડિયા, માજી ચેરમેન બાંધકામ સમિતિ ગૌતમ ચૌહાણ, જોરસંગ પરમાર, પ્રાંત અધિકારી તળાજા સહિતના મહાનુભાવો અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામા લાભાર્થીઓ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને હાજર રહ્યા હતા.