Home Culture અમૃત ખેડુત બજાર હેઠળ ભાવનગરવાસીઓને મળ્યુ રાજ્યનું પ્રથમ પ્રાકૃતિક બજાર

અમૃત ખેડુત બજાર હેઠળ ભાવનગરવાસીઓને મળ્યુ રાજ્યનું પ્રથમ પ્રાકૃતિક બજાર

1428
0

અમૃત ખેડુત બજાર હેઠળ ભાવનગરવાસીઓને મળ્યુ રાજ્યનું પ્રથમ પ્રાકૃતિક બજાર

તંત્રની નવતર પહેલને ખેડુતો તથા ભાવનગરવાસીનો પ્રથમ દિવસથી જ બહોળો પ્રતિસાદ..
પ્રારંભિક તબક્કે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ૧૩૪ ખેડુતો અમૃત ખેડુત બજારમાં જોડાયા..
રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે તથા D.D.O. વરૂણકુમાર બરનવાલે અમૃત બજારમાંથી ખરીદી કરી પ્રાકૃતિક કૃષિ તેમજ ખેડુત આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપ્યુ..

જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર તા.૧૦ : આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા જવાહર મેદાનની બાજુમા, રીલાયન્સ માર્ટ સામે આવેલ જોગર્સ પાર્ક-૨ ખાતે રાજ્યની પ્રથમ એવી નવતર પહેલ શરૂ કરવામા આવી છે. જેમા ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોને શહેરમા પોતાની પેદાશના વેચાણ માટે એક જગ્યા મળી રહે અને શહેરમા રહેતા લોકો જે સ્વાસ્થ જાળવવા અને નિરોગી રહેવા પ્રાકૃતિક ખોરાક લેવા ઇચ્છુક છે તેવા લોકોને સરળતાથી ગામડામા સંપુર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતો દ્વારા ઉત્પાદિત પેદાશ મળી રહે તેવા અભિગમ સાથે અમૃત બજાર શરૂ કરવામા આવી છે. જેમા આજરોજ ભાવનગર જિલ્લાના ૧૩૪ ખેડુતો દ્વારા જુદી જુદી ખેત પેદાશો અને અન્ય પ્રોસેસ કરેલી પ્રાકૃતિક પેદાશોના વેચાણનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે તથા D.D.O. વરૂણકુમાર બરનવાલે અમૃત ખેડુત બજારને ખુલ્લી મુકી હતી અને બજારમાંથી ખરીદી કરી પ્રાકૃતિક કૃષિ તેમજ ખેડુત આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપ્યુ હતુ.
અમૃત ખેડુત બજારને ખુલ્લુ મુકતા રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતુ કે આજે લોકો અને ખેડુતો બન્ને ઓર્ગેનિક તરફ વળ્યા છે ત્યારે આ બજાર બન્ને માટે યોગ્ય માધ્યમ પુરૂ પાડશે. આ બજાર થકી લોકોને અમૃત જેવુ શુધ્ધ ઉત્પાદન ઘર આંગણે જ મળશે. રાસાયણીક ખાતરથી પાક મબલખ આવે છે પરંતુ તે જમીન અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આગળ જતા તેનાથી કેન્સર જેવા ગંભીર રોગો થવાની શક્યતા પણ રહેલી છે અને તેથી જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ પ્રાકૃતિક કૃષિ માટેનુ દેશ્વ્યાપી અભિયાન ચલાવ્યુ છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતુ કે ભાવનગરમા ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અમૃત ઉત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ ત્યારે જિલ્લાના ખેડુતો તથા શહેરીજનોની માંગ હતી કે તેઓને પ્રાકૃતિક કૃષિનુ કાયમી માધ્યમ ઉપલબ્ધ થાય. જે બાબત ધ્યાને લઇ વહીવટી તંત્ર તથા ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી આ અમૃત કૃષિ બજાર ઉભુ કરવામા આવ્યુ છે. અહી સખી મંડળના ઉત્પાદનો પણ વહેચાણ અર્થે મુકવામા આવ્યા છે. જેના થકી મહિલાઓ પણ આત્મનિર્ભર બનશે. સાથે સાથે ખેડુતોને ઉત્પાદનના કાર્યક્ષમ ભાવ મળી રહેશે તેમજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળશે.
અમૃત ખેડુત બજારમા ઓર્ગેનિક શાકભાજી, અનાજ, કઠોળ, તેલ, ફળો, ગોળ, જ્યુસ, ફરસાણ, રમકડા, ફિનાઇલ, પ્રાકૃતિક દવાઓ, હળદર સહિતની જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ પ્રારંભિક તબક્કે ઉપલબ્ધ કરાવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બજાર દર રવિવારે સવારે ૭:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમ્યાન શહેરીજનો માટે ખુલ્લી રહેશે.આ પ્રસંગે વેચાણ માટે આવેલા ખેડુતો તથા ખરીદી માટે આવેલા શહેરીજનોએ આ વ્યવસ્થાથી લાભાન્વીત થઇ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને આવી સુંદર વ્યવસ્થા ઉભી કરવા બદલ આત્મા પ્રોજેક્ટ તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.આર.કોસાંબી, નાયબ ખેતીવાડી અધિકારી દવે, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બદદાણીયા, બાગાયત નિયામક વાઘમશી, યંગ ઇન્ડિયા ગૃપના સભ્યો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here