વાર્તા શીર્ષક :-વિધ્ન
મીના તેના બે વર્ષના લગ્ન જીવન બાદ પતિના એક્સીડન્ટ મૃત્યુ થતાં વિધવા બની. બે વર્ષના લગ્ન જીવનની ફલશ્રુતિ એક દીકરો વિકી. મીનાએ વિકિના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પુનઃ લગ્નનું માંડી વાળ્યું ને એકલે હાથે વિકીને ઉછેર્યો. સારી બેંકમાં નોકરી પણ મળી ગઈ. વિકિના લગ્ન ગોઠવાયા, સહુ સગા સંબંધી આવી ચડ્યા. લગ્નની તમામ વિધીથી મીનાને દૂર રાખી બોલતા કે વિધવાને આગળ કરીએ તો અપશુકન થાય અને સારા કામમાં વિધ્ન આવે. આ સાંભળી મીના છાને ખૂણે રડી પડી.
લેખક :- રૂપલ ભટ્ટ “રૂહાની”
શબ્દ: વિઘ્ન
રીના આજે બહુ ખુશ હતી તેને સ્કુલમાંથી જિલ્લા કક્ષાએ ફૂટબોલ રમવા સિલેક્સન થયું હતું.ઘરે આવી બધા ને ખુશ ખબર જણાવી.
બેગ પેક કરતી હતી ત્યાં અચાનક તેના હાથ અટકી ગયા મમ્મીએ આવી કહ્યું દાદા એ ના કહી છે.
અરમાનો ઓસરી ગયા.તેના સ્વપ્નને પૂર્ણ થવામાં મોટું વિઘ્ન આવ્યું.
અશ્રુ બની વહી રહ્યા. રીના એ કારણ પૂછતાં માતા એ જણાવ્યું બેટા ‘સ્ત્રી જન્મ જ સહનશીલતા નું બીજું નામ છે. વિવશતાઓ ને આધિન રહેવાનું છે.’
રીના દાદા પાસે જઈ રડતા એટલું જ બોલી ‘દાદા મારો દીકરીનો જન્મ કોઈ ગુનો છે ?’
દાદા ના ધ્રુજતા હાથો રીનાના માથા પર ફર્યા ,પશ્ચાત્તાપ ના અશ્રુ સાથે દાદા એ કહ્યું રીના કાલે પ્રતિયોગીતા માટે જરૂર જશે.આ તેનો અધિકાર અને સ્વપ્ન હું નહી તૂટે એક નવી પહેલ સાથે દાદા અને દીકરી ના મુખ પર ખુશી છલકી ઊઠી.
નમ્રતા જોશી ઓઝા
‘સુરભિ
અમદાવાદ
વાર્તા શીર્ષક :-ભક્ત કુટીર
સાગરના પિતા ધનંજય મહારાજના નામે ભક્તોમાં પ્રસિદ્ધ હતાં. સાગરની માતાના મૃત્યુ પછી ઘરમાં જ એક ખંડમાં ભક્ત કુટીર તૈયાર કરી તેના પિતા ભક્તોનો દરબાર ભરતાં. ધનંજય મહારાજનો દરબાર ભક્તોના આધ્યાત્મિક ચિંતન માટે હંમેશા ખુલ્લો રહેતો. આધ્યાત્મિક જ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિ માટે ભક્તો ઉમટી પડતાં. સાગર અને ઉર્મિના સંસારની નાવડી હવે ભક્તોની ભીડમાં રુંધાવા લાગી હતી. સાગરના પ્રથમ સ્પર્શનું કંપન હજુ તો તાજું જ હતું ત્યાં જ આશાઓથી ભરપૂર સાગરમાં તરવાની ઉર્મિની ઉર્મિઓને વિધ્નોની ખારાશ સ્પર્શી ગઈ. ઉર્મિએ નડતાં વિઘ્નોને અવગણી તેને સુવર્ણ તકમાં પરિવર્તિત કરવાની ઘણી કોશિશ કરી, પણ દરેક કોશિશો અફળ રહી. હવે વિઘ્ન રહીત રસ્તો પોતાને જ શોધવો પડશે એવાં નિર્ધાર સાથે, ધનંજય મહારાજની ભક્તોથી ઠસોઠસ ભરેલી કુટિરમાં જઈ પોતાનો અડગ નિર્ણય સાથે ભક્ત કુટીરના નવાં સરનામાની જાહેરાત કરી. સાંસારિક વિષયોમાંથી મુક્તિ પામેલાં ધનંજય મહારાજ ભક્તો સાથે આધ્યાત્મિકતામાં લીન રહે છે. નવાં સરનામે ગુરૂ અને ભક્તો બન્ને ખુશ. ઉર્મિની ઉર્મિને સાગરમાં હિલ્લોડે ચઢવાં વિઘ્ન રહીત પટ મળી ગયો.
લેખક :-નેહા બગથરીયા*